તમારા પ્રશ્નોના જવાબ મેળવો
જો તમે નવા ઘરમાં રહેવા જઈ રહ્યાં હો અને તમે જાતે અથવા ઇન્ટીરિયર ડીઝાઇનરની મદદથી તમારા ઘરની ડીઝાઇન તૈયાર કરવાનું વિચારી રહ્યાં હો તો, ઘરના વાસ્તુને ધ્યાનમાં રાખવું સલાહભર્યું છે. ઘર માટેનું વાસ્તુશાસ્ત્ર વૈજ્ઞાનિક સંશોધનો પર આધારિત છે અને તે ઘરની રચના, સ્થાપત્ય અને નકશાના સિદ્ધાંતોને વર્ણવે છે. ઘરમાં પોઝિટિવ ઊર્જા ફેલાય અને નકારાત્મકતા દૂર રહે તે માટે તમે ઘર માટેના વાસ્તુના સૂચનોનું પાલન કરો તે ખૂબ જ જરૂરી છે.
ઘરમાં પોઝિટિવ અને સારા તરંગો ઉત્પન્ન કરવા માટે વાસ્તુના વિજ્ઞાન અને આપણાં ઘરની રચના વચ્ચેના સંબંધને સમજવો જરૂરી છે. ઘર માટેના વાસ્તુના ઘણાં બધાં સૂચનો છે, જેને તમારા ઘરના નિર્માણ માટે ઉપયોગમાં લેવા જોઇએ, જેથી કરીને તમારું જીવન પ્રેમ અને ખુશીઓથી ભરેલું રહે તેની ખાતરી કરી શકાય. તેના કેટલાક પાસાં અહીં જણાવવામાં આવ્યાં છે :
ઘર માટેની વાસ્તુની દિશા ઘરની હકારાત્મકતામાં ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. જો તમે તમારા નિવાસસ્થાન માટે જમીનની પસંદગી કરી રહ્યાં હો તો, તમે પ્લોટના વાસ્તુનું પાલન કરો અને તેના મુજબ જ આગળ વધો તે જરૂરી છે. સ્થળની અભિમુખતા, માટીનો પ્રકાર, પ્લોટનો આકાર અને તેના જેવી બીજી ઘણી બધી જીણવટભરી વિગતોને ધ્યાનમાં રાખવી જોઇએ.
વીધિ શૂળ એ એક એવી સ્થિતિ છે, જેમાં રોડ પ્લોટની સાથે જોડાય છે. કેટલાક વીધિ શૂળ હકારાત્મકતા લાવે છે અને અન્ય કેટલાક નકારાત્મક ઊર્જા લાવે છે. ઉત્તર-પૂર્વ (ઇશાન)ની ઉત્તરે, ઉત્તર-પૂર્વ (ઇશાન)ની પૂર્વે રહેલા વીધિ શૂળને શ્રેષ્ઠ માનવામાં આવે છે, જ્યારે દક્ષિણ-પૂર્વ (અગ્નિ)ની દક્ષિણે, ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય)ની પશ્ચિમે આવેલા વીધિ શૂળને મધ્યમ કક્ષાના માનવામાં આવે છે.
જ્યારે ઘરના વાસ્તુ અંગે વિચારી રહ્યાં હોઇએ ત્યારે પાણીના સ્રોતો એ વધુ એક એવું પાસું છે, જેની પર ધ્યાન આપવું જરૂરી છે. ટાંકી, કૂવા કે પાણીના અન્ય કોઈ સ્રોત માટે ઉત્તર-પૂર્વ (ઇશાન)ને શ્રેષ્ઠ દિશા માનવામાં આવે છે. ઉત્તર દિશાને ઘરમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આથી જ તેને ખાલી રાખવી જોઇએ. આ ખાલી જગ્યાનો ઉપયોગ પાણીની ટાંકી માટે કરી શકાય, જે હકારાત્મક પ્રભાવ પાડી શકે છે.
મુખ્ય પ્રવેશદ્વારનું વાસ્તુ એ સૌથી મહત્વનું પાસું છે, કારણ કે, તે તમારા ઘરનું પ્રવેશદ્વાર છે. ઘરનો મુખ્ય દરવાજો ઉત્તર, પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ (ઇશાન) દિશામાં હોવો જોઇએ. મુખ્ય દરવાજો ચઢિયાતી ગુણવત્તાના લાકડાંમાંથી બનાવવો જોઇએ. તે સૌથી આકર્ષક દેખાવો જોઇએ. મુખ્ય દરવાજાની બહાર કોઈ ફુવારો કે પાણીની અન્ય કોઈ સુશોભનાત્મક ચીજને મૂકવાનું ટાળો.
બેઠક રૂમ એ એક એવી જગ્યા છે, જ્યાં ઘરની મોટાભાગની પ્રવૃત્તિઓ થાય છે. તે ઘર વિશેની પહેલી છાપ પાડે છે, આથી અહીં કોઈ અવ્યવસ્થા ન હોય તેની ખાતરી કરો. તે પૂર્વ, ઉત્તર કે ઉત્તર-પૂર્વ (ઇશાન) તરફ હોવો જોઇએ. ભારે ફર્નિચરને બેઠક રૂમની પશ્ચિમમાં કે દક્ષિણ-પશ્ચિમ (નેઋત્ય)માં રાખવું જોઇએ.
આદર્શ રીતે જોવા જઇએ તો, દક્ષિણ-પશ્ચિમ (નેઋત્ય) દિશામાં આવેલો બેડરૂમ સારું આરોગ્ય અને સમૃદ્ધિ આપે છે. પલંગને બેડરૂમના દક્ષિણ-પશ્ચિમ (નેઋત્ય) ખૂણામાં મૂકવો જોઇએ. પલંગની સામે અરીસો કે ટેલીવિઝન મૂકવાનું ટાળો.
બાળકોનો રૂમ ઉત્તર-પૂર્વ (ઇશાન) દિશામાં હોવો જોઇએ, કારણ કે, તેનાથી બાળકને બુદ્ધિચાતુર્ય, સામર્થ્ય અને શક્તિ પ્રાપ્ત થાય તેની ખાતરી થઈ શકે છે. આ જ દિશામાં પલંગ મૂકવાથી બાળકને હકારાત્મકતા પ્રાપ્ત થાય તેની ખાતરી કરી શકાય છે.
રસોડા માટે દક્ષિણ-પૂર્વ (અગ્નિ) દિશા આદર્શ ગણાય છે. રસોડાની દિવાલો માટે પીળો, ગુલાબી, કેસરી, લાલ અને કાળા જેવા ઘેરા રંગોને પસંદ કરો. સ્ટવ દક્ષિણ-પૂર્વ દિશામાં મૂકવામાં આવ્યો હોય તેની ખાતરી કરો.
વ્યક્તિએ પૂર્વ, પશ્ચિમ અથવા ઉત્તર દિશામાં મોં રાખીને ખાવાનું ખાવું જોઇએ. નિયમિતપણે દક્ષિણ તરફ મોં રાખીને ખાવાનું ખાવાથી આરોગ્યની સમસ્યાઓ પેદા થઈ શકે છે. ડાઇનિંગ ટેબલ ચોરસ અથવા લંબચોરસ હોવું જોઇએ, ગોળ કે અન્ય કોઈ અનિયમિત આકારનું નહીં.
પૂર્વ કે ઉત્તર-પૂર્વ (ઇશાન) દિશા એ પૂજા રૂમ માટે શ્રેષ્ઠ ગણાય છે. તેમાં પવિત્ર વેદી બનાવો અને તેને મીણબત્તીઓ અથવા અગરબત્તીઓ વડે સુશોભિત કરો. તેની દિવાલો માટે સફેદ, ઘાટ્ટો પીળો, આછો પીળો કે લીલો રંગ શ્રેષ્ઠ વિકલ્પો છે.
વાસ્તુ મુજબ વૉશબેઝિન અને શૉવરની જગ્યા બાથરૂમના પૂર્વ, ઉત્તર અને ઉત્તર-પૂર્વ (ઇશાન) હિસ્સામાં હોવી જોઇએ. બાથરૂમ અને શૌચાલયમાં પાણીના આઉટલેટ અને ડ્રેનેજની વાસ્તુ મુજબની સાચી દિશા ઉત્તર, પૂર્વ કે ઉત્તર-પૂર્વ છે.
અગાસીનું નિર્માણ ઉત્તર, પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ (ઇશાન) દિશામાં કરવું જોઇએ. અગાસી દક્ષિણ-પશ્ચિમ (નેઋત્ય) કે દક્ષિણ દિશામાં હોવી જોઇએ નહીં.
ઘરના નિર્માણ માટેના આ વાસ્તુના સૂચનોનો ચોક્કસપણે ઉપયોગ કરવો જોઇએ, જેથી કરીને તમારું ઘર ખુશીઓ, સફળતા અને સારા આરોગ્યથી ભરેલું રહે તેની ખાતરી કરી શકાય.